મનની શાંતિ

સંસારની સમસ્યાઓમાંથી કેવી રીતે છૂટી શકાય તેના ઉપાય હું તમને બતાવું એમ તમે ઇચ્છો છો. એના ઉત્તરમાં હું તમને એ વાતની યાદ અપાવું છું કે જે સમસ્યાઓ હજારો જન્મો દ્વારા આવી છે, તેમને એક જ દિવસમાં દૂર ન કરી શકાય.હા, તમે સાચું કહો છો કે આપણે આ જ પળથી સંસારની જાળમાંથી બચવું જોઈએ, કારણ કે મૃત્યુ કયારે આપણને પોતાનાં સ્વજનોના સ્નેહપાશથી અલગ કરી દેશે એ કોણ જાણે છે ? પરંતુ એનો અર્થ એ નથી કે આપણે પોતાના જીવનક્રમ વિશે કોઈ આકસ્મિક નિર્ણય લઈએ. જેવી રીતે બાળક હંમેશાં સહાય માટે પોતાનાં માતપિતા તરફ વળે છે, તેવી રીતે આપણે આપણા મનને સદૈવ પ્રભુ તરફ વાળવું જોઈએ અને શ્રીકૃષ્ણે તમને જે પરિસ્થિતિમાં રાખ્યા છે તેમાં સંતુષ્ટ રહેવું જોઈએ, એ છે સફળતાનો સર્વશ્રેષ્ઠ ઉપાય. ઈશ્વર તમને જ્યાં રાખવા માગે ત્યાં શાંતિથી રહો. શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશો વાંચો અને તેમના પર વિચાર કરો. તેઓ કહે છેઃ ‘છોડની ચારે બાજુએ વાડ લગાવવી જોઈએ જેથી બકરાં તેને ખાઈ ન જાય. પરંતુ એ જ છોડ જ્યારે મોટું વૃક્ષ બની જાય છે, ત્યારે સેંકડો બકરાં તેની છાયામાં આશ્રય લઈ શકે છે.’ એટલે સૌભાગ્યવશ જ્યારે કોઈના હૃદયમાં શ્રદ્ધા અને ત્યાગભાવના જાગે ત્યારે સંસારી લોકોથી અલગ રહીને એ ભાવોને અધ્યવસાયપૂર્વક પુષ્ટ કરવા જોઈએ; અને આ ભાવો જેવા એકવાર આપણા હૃદયમાં દૃઢ બની જાય ત્યારે એમને કોઈ હલાવી શકતું નથી.

સારાં પુસ્તકો વાંચો. એક પુસ્તક તમને બતાવું – ઈશાનુસરણ (The Imitation of Christ) – આ પુસ્તક તમને ઘણી શાંતિ અર્પશે. થોમસ કેમ્પિસના આ અણમોલ પુસ્તકના પાને પાને જોવા મળતા સાંત્વના અને સાચી ભક્તિના એ શબ્દોને તમારા હૃદયમાં ઉતારી લો. તેઓ પોતે ઈશ્વર કે ઈશુના સાચા ભક્ત હતા.

પશુ અને માનવ વચ્ચે મુખ્ય ભેદ આ છે – જ્યાં સુધી પશુને ભોજન અને નિવાસની સુવિધા મળતી રહે છે, ત્યાં સુધી તે ક્યારેય એ સ્થાનને બદલવા માગતું નથી; જ્યારે મનુષ્ય, સાચો મનુષ્ય હંમેશાં ઊંચે અને ઊંચે જવાનો પ્રયત્ન કરે છે. ઉચ્ચ આદર્શાે માટે નિરંતર પ્રયાસ એ સાચા માનવનું લક્ષણ છે. એ બધા લોકો કે જે સત્પુરુષ કે મહાન બનવા ઇચ્છે છે તેમનું મુખ્ય લક્ષ્ય – સર્વધર્માન્ પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ – બધા ધર્માેને છોડીને તું મારા (ભગવાનના) શરણને ગ્રહણ કર – એ હોવું જોઈએ. આપણામાંથી પ્રત્યેક વ્યક્તિ પરમાત્મા તરફ જવા માટે કઠિન પરિશ્રમ કરે છે, પરંતુ આપણા માર્ગ વિભિન્ન છે. પ્રત્યેક માનવ પોતાનો માર્ગ પોતે જ બનાવશે તેમજ ઈશ્વરે આપણને જે સાધનો આપ્યાં છે એને સહારે યાત્રા કરવી રહેશે. આપણે બધાએ પોતાનાં બંધનોને તોડી નાખવાં જોઈએ કારણ કે તમે ક્યારેય એવું જોયું છે કે એક જ આકસ્મિક ઝટકે એ બંધનો તૂટી જાય ? જો તમે તમારાં બંધનોને તોડવા માગતા હો તો તેમના પર આઘાત કરતા રહેવા માટે પૂરતું ધૈર્ય તમારામાં હોવું જોઈએ. કોઈપણ આકસ્મિક કાર્યથી કોઈપણ પ્રકારનું શુભ પરિણામ આવતું નથી. જ્યારે તમારા મનમાં તીવ્રતમ ત્યાગવૃત્તિ હશે, ત્યારે બીજી બધી વૃત્તિઓ તમને સંસારવૃક્ષ સાથે બાંધી રાખવા અસમર્થ બની જશે અને જેવી રીતે પૂરેપૂરું પાકેલું ફળ પૃથ્વીની ગોદમાં ખરી પડે છે તેમ તમે પ્રભુના સંગમાં આવી જશો.

તમે કહો છો કે સંસાર પ્રબળ પ્રલોભનોનું સ્થાન છે, એ વાસ્તવિક સત્ય છે. પરંતુ શું તમે એ નથી જાણતા કે શક્તિશાળી અને વિપરીત વાયુ દુર્બળ વૃક્ષનાં મૂળની શક્તિને જ પુષ્ટ કરે છે. શુભ નૈતિક સિદ્ધાંતો જે હાલ તમારા મનમાં એટલા દૃઢ નથી બન્યા તે પ્રલોભનો સાથેના સતત સંઘર્ષના પરિણામે નિશ્ચિતરૂપે પોતાનાં ઊંડાં મૂળિયાં જમાવી દે છે. નિયમિત વ્યાયામ અને સંઘર્ષ વ્યક્તિના શારીરિક સ્વાસ્થ્યને ઉન્નત કરી દે છે. આપણું માનસિક સ્વાસ્થ્ય પણ આ નિયમનો અપવાદ નથી. નિઃસંદેહ આ ભૂમિ ઘણી જ લપસણી છે અને એના પર પડ્યા વગર ચાલવું મનુષ્ય માટે ઘણું જ કઠિન છે. પરંતુ જે વ્યક્તિ પ્રગતિના પથ પરની આ લપસવાની સમસ્યાની વધુ ચિંતા કર્યા વિના દૃઢતાપૂર્વક આગળ વધે છે, તે અવશ્ય આ દલદલભરી ભૂમિમાંથી બહાર નીકળી જાય છે. જ્યાં સુધી તે સ્વચ્છ ભૂમિ પર ન પહોંચી જાય અને જ્યાં સુધી તે જેના માટે એટલા દિવસોથી પ્રયત્ન કરી રહ્યો હતો, તે દૈવી શક્તિનો સાક્ષાત્કાર ન કરી લે ત્યાં સુધી તે પડે છે, વળી બેઠો થાય છે, પરંતુ ક્યારેય પરાજયનો સ્વીકાર કર્યા વિના સદૈવ સામે નજર રાખીને દૃઢતાપૂર્વક આગળ વધે છે. ક્યારેક ક્યારેક તમે લપસી પડો તો તેની ચિંતા ન કરો. મનુષ્યથી ભૂલ થવી એ સ્વાભાવિક છે. નિરાશ ન થાઓ અને દૃઢતાથી આગળ વધો. સંસારની ભારે લપસણી ભૂમિના પથને મુશ્કેલી વિના પાર કરવાની આશા કોઈ વ્યક્તિ રાખી ન શકે. પથ પાર કરવાના પ્રયત્નમાં મળનારી નિષ્ફળતાના ભયથી આ દલદલની વચ્ચે બેસી જવું એ નરી મૂર્ખતા છે. ‘ફરી અને ફરી પ્રયત્ન કરો’ આ સ્વર્ણિમ નિયમને ન ભૂલો. સ્કોટલેન્ડના બ્રુસને યાદ કરો કે જે છ છ વાર પરાજિત થઈને પણ અંતે સાતમી વાર વિજયી બન્યા.

બધી વસ્તુઓ શ્રીકૃષ્ણ દ્વારા જ આવે છે એમ માનીને તમને જે કંઈ મળે તેનાથી સંતુષ્ટ રહો. એમને સતત પ્રાર્થવાનું ભૂલશો નહિ. જેનાથી તમારું સાચું કલ્યાણ થાય તે બધું તેમની કૃપા આપી શકે છે. સદૈવ એમની કૃપા પર નિર્ભર રહો. શાંત અને સ્થિર રહો. અસ્થિરતા એ પોતે જ એક રોગ છે. આટલું જાણી લો કે પરમપુરુષની ઇચ્છા પ્રત્યેના આત્મસમર્પણમાં પ્રેમ અને સંતોષનો અનુભવ કરવો એ ધર્મ છે.

‘હૃદયમાં સાહસ અને ઉપર ઈશ્વરને રાખીને જીવિત વર્તમાનમાં કર્મ કરો’. દુઃખ અને સુખ દરેકના અપરિહાર્ય સાથી છે. જ્યારે એક આવે છે ત્યારે બીજો ચાલ્યો જાય છે. પરંતુ બંને સ્થાયી રહી નથી રહી શકતાં. આ જાણીને આપણે એમના પ્રભાવથી વિચલિત થવું ન જોઈએ. ઈશ્વર પર પૂર્ણતઃ નિર્ભર રહીને પોતાનું કર્તવ્ય કરતા રહો. સદૈવ ઈશ્વરની ઇચ્છાને અધીન રહો અને પ્રત્યેક વસ્તુને ઉત્તમ અર્થમાં ગ્રહણ કરો. તમારે ભવિષ્ય માટે ચિંતિત ન થવું જોઈએ. અહીં આ સંસારમાં જે કંઈ પણ બને છે તે આપણા કલ્યાણ માટે જ હોય છે, કારણ કે બધું ઈશ્વર દ્વારા સંચાલિત છે. સાથે ને સાથે કર્તવ્યપરાયણ થવું એ આપણું કર્તવ્ય બનવું જોઈએ. પોતાના પ્રત્યે કર્તવ્યપરાયણ બનવાનો પ્રયત્ન કરો. જો પત્ની અને સંતાન હોય તો એમના પ્રત્યે પણ કર્તવ્યપરાયણ બની રહો. પોતાનાં સંબંધીઓ, મિત્રો અને પડોશીઓ પ્રત્યે પણ કર્તવ્યપરાયણ રહો. ઉદાર, ઈમાનદાર, સરળ અને સત્યવાદી બનો. સર્વાેપરી, આપણા નિર્માતા ઈશ્વર પ્રત્યે પ્રેમભક્તિ રાખો. જ્યાં સુધી આ તમારી પ્રકૃતિ ન બની જાય, ત્યાં સુધી આવું જીવન જીવો, કારણ કે તમારે આ સત્યને જાણી લેવું જોઈએ ઃ જ્યાં સુધી મનુષ્ય શરીર અને મનથી પવિત્ર નથી બનતો, ત્યાં સુધી યોગના પવિત્ર મંદિરમાં પ્રવેશ કરવાનો એને કોઈ અધિકાર નથી. યોગનો અર્થ – સમસ્ત ચિત્તવૃત્તિઓ કે ઇચ્છાઓ-રહિત બનવું. એટલે સદૈવ પોતાનાં માતપિતા, પત્ની-સંતાનો, સંબંધી-મિત્ર તથા પાડોશીઓ પ્રત્યે કર્તવ્યપરાયણ રહીને પવિત્ર બનવાનો પ્રયત્ન કરો. પ્રથમ તો એક આદર્શ સદ્ગૃહસ્થ બનવાનો પ્રયત્ન કરો, ત્યારે તમે સાચા યોગી બની શકશો.

એ જાણીને તમને આનંદ થશે કે હું અમારા અધ્યક્ષ (શ્રીમત્ બ્રહ્માનંદજી મહારાજ)ને અહીં લાવવા માટે પુરી જઈ રહ્યો છું. એમના જેવા પવિત્ર મહાપુરુષ જે કોઈને સ્પર્શ કરે તે માત્ર પવિત્ર જ નથી બનતો, પરંતુ પવિત્ર બનાવવાની શક્તિ પણ પ્રાપ્ત કરે છે. તેઓ અહીં વ્યાખ્યાન દેવા નથી આવતા, પરંતુ જેમને ધર્મની આવશ્યકતા છે તેમને ધર્મપ્રદાન કરવા આવે છે. સાર્વજનિક વ્યાખ્યાનોથી વિશેષ કાર્ય થતું નથી. ઉપરછલ્લી ચર્ચામાં શું છે ? ધર્મની ચર્ચા તો બધા કરે છે, પરંતુ એવી વ્યક્તિ કયાં છે જે ધર્મપ્રદાન કરી શકે ? તેઓ એવા મહાપુરુષ છે કે જે દુઃખી હૃદયમાં આશીર્વાદની અમીવૃષ્ટિ કરી શકે છે, જે પ્રત્યક્ષરૂપે ધર્મપ્રદાન કરીને મનુષ્યને ઈશ્વર તરફ લઈ જાય છે. આધુનિક યુગની તથાકથિત બુદ્ધિમત્તાના નિતાંત ખોખલાપણાની તમને યાદ અપાવવી આવશ્યક નથી. જે લોકોનું મન સંસારમાં બદ્ધ છે, જેમનામાં સત્યના અસીમ આકાશમાં ઊડવાની શક્તિ નથી, જેમનું ચિંતન અજ્ઞેયવાદ, સંશયવાદ કે નાસ્તિકતામાં સમાપ્ત થાય છે, જેમનામાં નૈતિક સિદ્ધાંતોનો કોઈ શાશ્વત આધાર નથી, જેમનું અજ્ઞાન તેમને જન્મ અને મૃત્યુના બંને છેડાથી બાંધીને ક્ષણભંગુર જીવનમાં સીમિત રાખે છે, એવી વ્યક્તિઓના ગ્રંથો વાંચીને તમે સાચી રીતે બુદ્ધિમાન નથી બની શકતા… રામકૃષ્ણ મિશનના ઉદાત્ત કાર્ય પ્રત્યે તમે જે ઉત્સાહ બતાવો છો તે હવે હજારગણો વધી જવો જોઈએ, કારણ કે આ મિશનના મૂર્તિમંત સ્વરૂપ એવા પરમ પવિત્ર અધ્યક્ષ મહારાજ હવે દક્ષિણ ભારતમાં પદાર્પણ કરવાના છે.

કયારેય નિષ્કિન્ય ન રહો કારણ કે નિષ્કિન્યતા બધી જાતના ખરાબ વિચારોની જનની છે. પોતાના કર્તવ્યપાલનમાં સતત સાવધાન રહો. પોતાની ભીતરની બધી જડતાને દૂર કરી દો. આળસ જઘન્યતમ પાપ છે. પૂર્ણતાપ્રાપ્તિનો કોઈ રાજમાર્ગ નથી. એકલી ભાવુકતાથી કોઈ લાભ નથી થતો. તમારે કઠિન પરિશ્રમ કરવો જોઈએ. ભગવાન તમને જે કોઈ સ્થાને રાખે ત્યાં સદૈવ પ્રસન્ન રહેવું જોઈએ. જો તમે ભગવાનના નિમિત્તે થોડાં સાંસારિક કષ્ટો સહન ન કરી શકો તો તમે વાસ્તવમાં પ્રભુના અધમ પ્રેમી છો ! જે કામ તમને અત્યારે અસંતુષ્ટિકર લાગે છે એ જ પછીથી તમારે માટે સહાયક સિદ્ધ થશે. ભગવાન આપણા બધાથી વધારે બુદ્ધિમાન છે. તમારા માટે શું આવશ્યક છે અને તમને કયાં રાખવા જોઈએ, એ બધું તેઓ જાણે છે. જો તમે એમના વિધાનનો પ્રતિરોધ કરતા હો તો વાસ્તવિક રીતે તમે એમની અસીમ કૃપા અને પ્રેમનો જ વિરોધ કરો છો. આજ્ઞાંકિતતા દૈવી છે અને અવજ્ઞા એ આસુરી છે.

આપણે નર્યા અજ્ઞાનને લીધે બધા પ્રકારની આધારવિહોણી ચિંતાઓમાં પડીએ છીએ. કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળમાં નહીં. નેતાઓએ તદૃન અહંકારશૂન્ય બનવું જોઈએ. ‘હું નહીં, તમે’ આ તેમનો મૂળ મંત્ર હોવો જોઈએ. આટલું યાદ રાખો અને કાર્યરત રહો, તમારો વિજય નિશ્ચિત છે. બધા સાથે મધુુરતાથી વાત કરો. બધું એકીસાથે અને ત્વરિત કરવાનો પ્રયત્ન ન કરો. પૃથ્વી અને સ્વર્ગમાં એવી કોઈ શક્તિ નથી કે જે તેમના મિશન દ્વારા સમસ્ત વિશ્વમાં આટલી સફળતાપૂર્વક સંચારિત પ્રબળ અધ્યાત્મધારાને રોકી શકે. તમે પ્રભુના પસંદ કરેલ સંતાન છો તેથી આનંદમય બનો. વેદાંત સોસાયટીના બધા સભ્યોને એ બતાવી દો કે તેઓ માત્ર જ્ઞાનલાભ જ નહીં કરે, પરંતુ એમના સંપર્કમાં આવનાર પ્રત્યેક વ્યક્તિને પણ જ્ઞાનલાભ થાય.

પૂર્ણતઃ આત્મનિર્ભર બનો. જે પોતે પોતાને સહાય કરે છે, ઈશ્વર એમને જ સહાય કરે છે. સાથે ને સાથે બધાને મદદ કરો. જો બહારથી સહાયતા મળે તો સારું અને ન મળે તોય સારું. આટલું જાણી લો કે શ્રીગુરુમહારાજે તમને એમનું કાર્ય કરવા માટે પસંદ કર્યા છે અને જે કોઈ પણ આ તમારા કાર્યમાં સહયોગ આપશે તેણે પોતાની જાતને અત્યંત સદ્ભાગી સમજવી જોઈએ, કારણ કે મનુષ્યને ઈશ્વરનું કાર્ય કરવા માટે પસંદ કરાય તે હરદમ સંભવ નથી.

કોઈ વ્યક્તિ દ્વારા તેમના કાર્યને કોઈપણ પ્રકારની ક્ષતિ પહોંચાડી શકાય છે, એવું વિચારીને તમે ચિંતિત ન બનો. જો કોઈ વ્યક્તિ આકાશ તરફ થૂંક ઉડાડે છે તો તે થૂંક તેના મોં ઉપર જ પડવાનું છે. શ્રીરામકૃષ્ણની પરમ દયાળુતા પર શ્રદૃઘા રાખો. એમના સર્વપવિત્ર સંઘમાં કાંઈ ખોટું થઈ શકતું નથી. જો કયારેક કયારેક તમારી પાસે આપણા શ્રીગુરુમહારાજ માટે કંઈક માગું છું તો તે કેવળ તમારા કલ્યાણ માટે જ છે.

ઈશ્વરે તમને શુદ્ધ બનાવ્યા છે અને જો તમે પ્રયત્ન કરો તો પણ અશુદ્ધ ન બની શકો. શ્રીરામકૃષ્ણના કાર્યના નિમિત્તે તમારા પ્રામાણિક તથા પ્રાણપણ પરિશ્રમ માટે અમે સદૈવ કૃતજ્ઞ છીએ. તમે ધન્ય છો જ. આટલું નક્કી જાણો કે જે વ્યક્તિ સાચી અને સારી છે તે સંસારમાં સૌથી વધુ સદ્નસીબ વ્યક્તિ છે અને તમે એવી જ વ્યક્તિ છો. એટલે તમારા પર એમની કૃપા છે જ. ઈશ્વર જેમને સફળ બનાવવા ઇચ્છે છે, એમની પ્રગતિને કોઈ રોકી શકતું નથી. જ્યાં સુધી માનવ મુશ્કેલીઓની પાઠશાળામાંથી પસાર થતો નથી ત્યાં સુધી તેને મનુષ્ય કહી શકાય નહીં. આપણી મુશ્કેલીઓ દ્વારા આપણે ઘણું શીખી શકીએ છીએ. જ્યારે તમે પોતાની જાતને પૂર્ણપણે પ્રભુનાં શ્રીચરણકમળમાં સમર્પિત કરી દીધી છે ત્યારે તો શાંતિ અને આનંદપૂર્ણ જીવનનું રહસ્ય જાણી જ લીધું છે. જીવન એક સતત સંગ્રામ છે. તમારે ઇન્દ્રિયો સાથે ઘોર સંગ્રામ ખેલવો જોઈએ, પરિણામ તો ઈશ્વરના હાથમાં છે. યુદ્ધ કરવું એ તમારું કર્તવ્ય છે. તમને વિજય મળે કે પરાજય, એ બધું સર્વથા ઈશ્વરની ઇચ્છા પર નિર્ભર છે.

મૂળમંત્ર ‘સંતોષ’ જ વિપરીત પરિસ્થિતિઓમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળવાનું સમાશ્વાસન આપી શકે છે. ઈશ્વર કલ્યાણમય છે. એ જ બધું કરે છે, એટલે કલ્યાણ વિના કંઈ કરી શકતા નથી. આ જ ધર્માેનો સંદેશ છે. એનું પાલન કરો અને માનસિક શાંતિ એની મેળે મળશે. આપણે કોઈના મનમાં ત્યાગ પરાણે લાવી શકતા નથી. બધા લોકોને સાધુ કે સાધ્વી બનવા માટે નિયત નથી કર્યા. પ્રત્યેકના જીવનમાં એક પ્રયોજન છે. એટલા માટે ઈશ્વરે આપણને અહીં મોકલ્યા છે. બધાની સાથે હળીમળીને કામ કરો. શાંતિ સ્થાપવાવાળા ધન્ય છે કારણ કે એમને જ ઈશ્વરનાં સંતાન કહેવામાં આવે છે.

મુશ્કેલીઓમાં તમારે હતાશ ન થવું જોઈએ. પાંડવોનાં માતા કુંતીએ ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી વિપત્તિઓનું વરદાન વારંવાર માગ્યું હતું, કારણ કે વિપત્તિમાં જ પ્રભુનું સ્મરણ સૌથી વધુ થાય છે.. યુવાવસ્થામાં ઇન્દ્રિયો પ્રબળ હોય છે. તમારે શક્તિશાળી બનવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેથી ઇન્દ્રિયો તમને પરાજિત ન કરી શકે. કામુકતા યુવાનોનો પ્રધાનશત્રુ છે. નારીમાત્રને માતાના રૂપે જુઓ. શારીરિક તથા માનસિક કાર્યાેમાં પોતાની જાતને સતત લગાડ્યે રાખો તેમજ પોતાના મનને સદૈવ ભગવાન શ્રીકૃષ્ણમાં સ્થિરસ્થિત રાખો. જો મનને સદૈવ ઈશ્વરમાં સ્થિર ન રાખી શકો તો તેને કોઈ અન્ય સદ્વિષયમાં લગાડી રાખવું એમાં સાચી બુદ્ધિમાની છે. આ રીતે પ્રશિક્ષિત મનને ભગવાન શ્રીકૃષ્ણનાં ચરણોમાં સ્થિર કરવું વધારે મુશ્કેલ નહીં લાગે. એટલું જાણી લો કે તમે સ્વયં ઈશ્વર છો અને પરિણામે તમે પોતે પોતાની ઇન્દ્રિયોના સ્વામી છો. પોતાની ઇન્દ્રિયોને પોતાની જાત પર શા માટે સવાર થવા દેશો ? દુર્બળ મનુષ્ય દુષ્ટ વ્યક્તિઓ અને દુષ્પ્રવૃત્તિઓનો શિકાર બની જાય છે. માનસિક દુર્બળતા શારીરિક દુર્બળતા જેટલી ખરાબ છે. હું તમને ગીતાના કેટલાક અંશોની યાદ અપાવું છું જે અત્યધિક નિરાશ વ્યક્તિઓના હૃદયમાંથી નિરાશાને દૂર કરી તેમને શક્તિ અને સહાય આપે છે. અર્જુને જ્યારે ભગવાન શ્રીકૃષ્ણને એ પૂછયું કે જે વ્યક્તિ યોગના માર્ગમાં ભ્રષ્ટ થઈને અસફળ થાય છે ત્યારે શું તેનાં ઇહલોક અને પરલોક બંને નષ્ટ નથી થઈ જતા ? શ્રીકૃષ્ણે તેને ઉત્તર આપતાં કહ્યું ઃ ન હિ કલ્યાણકૃત્કશ્ચિત્ દુર્ગતિં તાત ગચ્છતિ – ‘હે સખા ! ધર્મનું થોડું આચરણ કરવાવાળી વ્યક્તિ કયારેય દુર્ગતિ પામતી નથી. તે ધાર્મિક યોગીઓના કુળમાં જન્મ લે છે તથા પુનઃ શુદ્ધ અને પવિત્ર જીવન વિતાવીને ઈશ્વરપ્રાપ્તિની સાધનામાં લાગી જાય છે.’ અતઃ ક્ષણભર માટે પણ જો તમે સદ્ભાવનો અનુભવ કરો કે સત્ચિંતન કરતા હો તો તે તમારા માટે ચોક્કસપણે મોટી ઉપલબ્ધિ બની રહેશે. નિરાશાને કયારેય જીવનમાં સ્થાન ન આપો. કારણ કે સ્વયં ભગવાને જ મનુષ્યને આ આશ્વાસન દીધું છેઃ કૌન્તેય પ્રતિજાનીહિ ન મે ભક્તઃ પ્રણશ્યતિ’ – ‘હે અર્જુન! આટલું ચોક્કસ જાણજે કે મારા ભક્તનો કયારેય નાશ નથી થતો.’

અમે લોકો સ્વાભાવિકરૂપે સંસારી મનુષ્યોના પનારે પડનારી વિપરીત અને અપ્રિય પરિસ્થિતિઓથી અત્યધિક વિક્ષુબ્ધ તથા વિષણ્ણ બનીને શ્રીરામકૃષ્ણદેવની પાસે આવતા, ત્યારે તેઓ અમને સાંત્વના આપતા ઃ ‘લુહારની એરણ જેવા બનો. લુહાર દરરોજ એના પર અસંખ્ય વાર હથોડાના ઘા કરે છે. પરંતુ એરણ સદૈવ શાંત અને અચલ રહે છે. સંસાર તમારા પર પ્રહાર કરી શકે છે, પરંતુ તેનાથી તમે વિચલિત ન બનો અને લુહારની એરણની જેમ અચલ રહો.’ સર્વશક્તિમાન પ્રભુની કરુણા અને દયામાં શ્રદ્ધાવિશ્વાસ રાખો. પોતાના વિશ્વાસમાં દૃઢતાપૂર્વક સ્થિર રહો તો સંસારની અશાંતિ અને વિપત્તિઓ તમારા પર પ્રભાવ નહીં પાડી શકે, તમને ગભરાટમાં નાખવાને બદલે તે પોતે જ ગભરાઈ જશે. ગીતાને પોતાનો હંમેશનો સાથી બનાવી લો. સદૈવ ઉત્સાહી બની રહો, જે સદૈવ મુક્ત અને આનંદપૂર્ણ છે એવા તમારા આત્માને કયારેય દુઃખ અને નિરાશાને અધીન ન થવા દો. તમે પોતાના પ્રયત્નમાં સફળ નથી થતા એવી ફરિયાદ ન કરો. બધા મનુષ્ય સાથે આવું થાય છે. માત્ર થોડાક એવા મહાત્માઓ છે જે પહેલેથી જ પૂર્ણ છે, તે કહી શકે છે કે તેઓ મનસા, વાચા, કર્મણા પૂર્ણતઃ પવિત્ર છે. મનુષ્યથી ભૂલ થવી સ્વાભાવિક છે. આપણે તો માત્ર એટલું જ જોવું જોઈએ કે જગતના સ્વામી પ્રભુને પ્રેમ કરવાનું ન ભૂલીએ. અતઃ ધૈર્ય રાખો. ભલે તમે કયારેક કયારેક પડી જાઓ પરંતુ ફરીથી ઊઠવાનો પ્રયત્ન કરો. દરેક બાળક ચાલવાનું શીખતાં પહેલાં લાખવાર પડે છે. હું તમને વિશ્વાસ આપી શકું છું કે જે પોતાની સહાયતા કરે છે તેને પ્રભુ સહાય કરે છે.

એટલું નિશ્ચિત માનજો કે કોઈ મનુષ્ય ભલેને ગમે તેટલો ખરાબ હોય અને આખી દુનિયાએ ભલે એનો ત્યાગ કર્યાે હોય, પણ ઈશ્વરનો પ્રેમ તો જેટલો માનવ સર્વાધિક પવિત્ર રહે છે, એટલો જ એના પ્રત્યે પ્રબળ અને તીવ્ર રહે છે. એક બાળક મોટું થઈને ભલેને હત્યારો બની જાય, પણ માનો પ્રેમ એના પ્રત્યે અક્ષુણ્ણ રહે છે. બધી માતાઓને એક સાથે એકઠી કરીએ, પણ ઈશ્વર એનાથી કેટલોય વધારે દયાળુ અને પ્રેમી છે. એમની પ્રેમપૂર્ણ કૃપામાં કયારેય શ્રદ્ધાવિશ્વાસ ગુમાવશો નહીં. તેઓ જઘન્યતમ પાપીઓ પર પણ સદૈવ દૃષ્ટિ રાખે છે, એ જાણીને પ્રસન્ન રહો. પોતાની જાતથી અસંતુષ્ટ ન બનો. તમે ઈશ્વરના સંતાન છો અને પોતાની જાત પ્રત્યે અસંતુષ્ટ બનીને તમે ઈશ્વરના સંતાન પ્રત્યે અસંતુષ્ટ બનો છો. શું આ ખરાબ વાત નથી ? એટલે જ પોતાનું સન્માન કરો, કારણ કે તમે ઈશ્વરના પુત્ર છો અને તમને ઉત્પન્ન કરીને તેમણે કોઈ ભૂલ કરી નથી કેમ કે તેઓ બધી ભૂલોથી પર છે. એટલે તેઓ તમારા દ્વારા જરૂર એવું કંઈક કરાવશે કે જેને માટે તેઓ તમને આ પૃથ્વી પર લાવ્યા છે. ઈશ્વર પ્રત્યે તમારો અનુરાગ જેટલો વધશે એટલી જ તમારી વાસનાઓ ઓછી થતી જશે. સદૈવ સન્માર્ગ પર ચાલવાનો પ્રયત્ન કરો. સત્યવાદી અને સારા બનો તથા વિષયભોગની આકાંક્ષા ન રાખો. આને જ તમે પોતાનું લક્ષ્ય અને આદર્શ બનાવો. કઠિન સંઘર્ષ કરો અને જો આ સંઘર્ષ કરતાં કરતાં તમારા પગ લપસી પડે તેમજ તમે કેટલીયવાર પડી જાઓ તો તેનાથી શું ? ફરીથી ઊભા થાઓ અને સંઘર્ષ કરતા રહો. નિશ્ચિત રહો કે અંતે તમે વિજયી થશો. જ્યાં સુધી તમે પૂર્ણ ન બની જાઓ ત્યાં સુધી સંઘર્ષ ન છોડો. ભગવાન શ્રીરામકૃષ્ણ બધી વિપત્તિઓથી તમારું રક્ષણ કરે તથા તમને સુરક્ષિત અને સ્વસ્થ રાખે.

હા, તમારા પોતાના નિર્ણયમાં તમે સાચા છો. અહીં આપણે ભિખારીના રૂપે કે રાજાના રૂપે જીવન ચલાવવું છે. પરંતુ આપણો આદર્શ અને લક્ષ્ય આપણે ગમે ત્યાં રહીએ તો પણ એ હોવાં જોઈએ કે આપણે ભગવાન શ્રીરામકૃષ્ણને કયારેય ન ભૂલીએ. એ પણ સાચું છે કે ગમે ત્યાં રહીએ પણ ઈશ્વર આપણને ત્યજતા નથી. એ પ્રભુ જ આપણને જીવનના એક સ્તરમાંથી બીજા સ્તરમાં લઈ જાય છે. આ જાણીને આનંદમય સ્થિતિમાં રહો. હું હંમેશાં તમને યાદ કરું છું અને આપણા ગુરુમહારાજને તમારા માટે પ્રાર્થના કરું છું. જો કે તમારી પાસે ભગવાન શ્રીરામકૃષ્ણની છબી છે. એટલે મારી આ સલાહ છે કે તેમને ભગવાનના અવતારના રૂપે જુઓ. એમની છબી સામે પ્રાર્થના કરો. એટલું નક્કી માનજો કે તમારી કામનાઓ પૂર્ણ થઈ જશે. એમનાથી વધુ દયાળુ બીજા કોઈ નથી. અરે ! જ્યારે હું એમના મહિમા અને મહાનતાનું સ્મરણ કરું છું, ત્યારે હું તરત જ આનંદવિભોર બની જાઉં છું. તેઓ તમારી સાથે નથી એવું ન ધારો. જે લોકો સારા છે એવા લોકોની પાસે તેઓ સદૈવ રહે છે અને તમે ઘણા સારા છોકરામાંના એક છો એટલે હું કહી શકું છું કે પ્રલોભનોથી તમારું રક્ષણ કરવા માટે તેઓ સદૈવ તમારી સાથે છે. એમની છબી એમનો સજીવ આત્મા છે. એને માત્ર એક ચિત્ર ન સમજો. એ એમનો સજીવ આત્મા છે. જો શકય બને તો પુષ્પધૂપાદિ એમને અર્પણ કરો અને જો ન બને તો પોતાના હૃદયનાં તીવ્ર પ્રેમ અને પશ્ચાત્તાપરૂપી પુષ્પ એમને ચડાવો. સમગ્ર વિશ્વ જેટલાં પુષ્પધૂપાદિ ઉત્પન્ન કરે છે એ બધાંના ઢગલાની તુલનામાં પશ્ચાત્તાપપૂર્ણ હૃદયનું અર્પણ તેઓ વધારે પસંદ કરે છે. જો તમે સાચા હૃદયથી એમની પાસે સહાયની યાચના કરો તો તેઓ ચોક્કસ તમારી મદદ કરશે. તેઓ પ્રેમ અને કરુણાના અવતાર છે.

મારા અનિયમિત પત્રવ્યવહારથી તમે એમ ન સમજી લેશો કે હું મારા મિત્રોને નથી ચાહતો. પ્રેમ શારીરિક કરતાં માનસિક વધુ હોય છે. હું મારા ગુરુદેવ પાસે સદૈવ તમારા પર, તમારાં સ્વજનો ઉપર તેઓ આશીર્વાદની વૃષ્ટિ કરતા રહે તેવી પ્રાર્થના કરું છું.

ભગવાન શ્રીરામકૃષ્ણ કહે છે ઃ ‘જેવી રીતે પાણીને કોઈ રૂપ નથી, એને જે પાત્રમાં રાખો તેવો આકાર તે ધારણ કરે છે તેવી રીતે ઈશ્વરનું કોઈ વિશેષ રૂપ નથી.’ પરંતુ ઈશ્વર પ્રાણીમાત્રના પ્રભુ છે, એટલે તમારે એમને મનુષ્યના રૂપમાં જ સીમિત બનાવી ન દેવા જોઈએ. તમારા પિતા એક વિદેશી વેશ ધારણ કરી લે તો તેને કારણે તેઓ તમારાં સન્માન અને શ્રદ્ધા ગુમાવી દેતા નથી. એટલે ઈશ્વરનું ભલેને ગમે તે રૂપ હોય, તમારે સદૈવ એમના પ્રત્યે પ્રેમ રાખવો જોઈએ. તેઓ ‘તમારા ઈશ્વર છે.’ ઈશ્વરના કોઈપણ વિશેષરૂપને પોતાની ઇષ્ટમૂર્તિરૂપે કોઈપણ વ્યક્તિ નિઃસંદેહ પ્રેમ કરી શકે છે. વૈષ્ણવો કૃષ્ણરૂપને ચાહે છે, શાક્તો શક્તિના રૂપને ચાહે છે, વગેરે. એમનું જે રૂપ તમને સૌથી વધુ સારું લાગે એ રૂપે જ એમની પૂજા કરો. જેવી રીતે હિંદુ પરિવારની કુલવધૂ પરિવારના બધા સભ્યો પ્રત્યે શ્રદ્ધા રાખે છે, પરંતુ પોતાના પતિ સાથે એનો વિશેષ પ્રેમસંબંધ હોય છે. તેવી રીતે તમારે ઈશ્વરનાં ભિન્ન ભિન્ન રૂપોમાં શ્રદ્ધા રાખવી જોઈએ. પરંતુ તમારા જીવનના એક માત્ર ઈશ્વર તો તમારા ઇષ્ટદેવતા જ બનવા જોઈએ. એ વાત સારી છે કે શ્રીરામકૃષ્ણ પ્રત્યે તમારાં શ્રદ્ધા અને ભક્તિ છે. એવી વાત નથી કે તેમની પૂજા કરવાથી તમે માના ભક્ત રહેતા નથી, કારણ કે શ્રીરામકૃષ્ણ તો શક્તિનું જ પ્રગટ રૂપ છે. શક્તિ અસીમ છે અને એટલે જ અગમ્ય છે. તેણે સર્વસુલભ થવા માટે આ યુગમાં શ્રીરામકૃષ્ણનું સૌમ્યરૂપ ધારણ કર્યું છે. આ યુગના પ્રારંભમાં જ્યારે તેણે શ્રીકૃષ્ણનું રૂપ ધારણ કર્યું હતું, ત્યારે યુગે યુગે પોતે પોતાના અવતાર લેવાનું કારણ બતાવ્યું હતું –

‘યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત ।
અભ્યુત્થાનમધર્મસ્ય તદાઽઽત્માનં સૃજામ્યહમ્ ।।

શ્રીરામકૃષ્ણદેવના અધિકાંશ શિષ્યોએ પોતાના ગુરુદેવના પાર્થિવ દેહત્યાગ પછી પણ એમનાં દર્શન કર્યાં છે અને જો એમનાં દર્શનની તમારી ઇચ્છા સાચી હશે તો તેઓ તમને અવશ્ય સંતુષ્ટ કરશે. ઈશ્વરનાં વિભિન્ન રૂપ રૂપકમાત્ર નથી, તે સત્ય છે. નિર્વિકલ્પ સમાધિમાં સૃષ્ટિ ય રહેતી નથી, સ્રષ્ટા પણ રહેતો નથી, ત્યાં પૂજા પણ નથી; તેને હવે આપણે છોડી દઈએ કારણ કે મીઠાની પૂતળી સમુદ્રમાં ભળી ગઈ છે. પરંતુ જ્યાં સુધી આપણું ક્ષુદ્ર વ્યક્તિત્વ છે, ત્યાં સુધી આપણને સાકાર ઈશ્વરની આવશ્યકતા રહે છે. જગતના રચયિતા ઈશ્વર સદૈવ સાકાર છે અને તેમની પ્રત્યેક અભિવ્યક્તિ એટલી જ સાચી છે જેટલા તે પોતે સત્ય છે. પૂજા ઈશ્વરના સાકારરૂપમાં જ સંભવ છે. હું તમને એ જ પદ્ધતિ ગ્રહણ કરવાની સલાહ આપું છું. શ્રીરામકૃષ્ણ માટે જીવો અને કાર્ય કરો, તેમજ મનપ્રાણપૂર્વક એમની પૂજા કરો અને એ રીતે જીવનમાં મુક્તિ પ્રાપ્ત કરી લો. તેમને સાક્ષાત્ ઈશ્વરના જ રૂપે જુઓ. પિતા અને પુત્ર કે માતા અને સંતાન વચ્ચે કોઈ ભેદ-અંતર નથી. જો માનવ પથ્થરની મૂર્તિની પૂજા કરીને મુક્તિ મેળવી શકે, તો ઈશ્વરની જીવંતમૂર્તિની પૂજા દ્વારા લક્ષ્ય સુધી પહોંચવાની વધારે શકયતા છે. તમે સીધેસીધી ઈશ્વરની પૂજા કરી શકતા નથી, કારણ કે આ દેવમાનવો સિવાય તેમની ધારણા જ કોઈ કરી શકતા નથી. જો શ્રીરામકૃષ્ણની જેમ દેવમાનવ અહીં જન્મ ન લે તો ઈશ્વર વિશે કોણ શું જાણી શકે ? તે લોકો આધ્યાત્મિક જગતના કોલંબસ છે.

મૂળ વિના વૃક્ષ નથી થતું. ભીતર વિના બાહ્ય નથી હોતું. તમારે પોતાની ભીતર અને બાહ્ય તેની પૂજા કરવી જોઈએ, કારણ કે તે સર્વત્ર વિદ્યમાન છે. તેઓ જેટલા તમારી ભીતર છે એટલા જ મૂર્તિમાં પણ છે. પોતાની જાતને તેમના સંતાન કે સેવકરૂપે, તેમનાથી ભિન્ન માનીને સર્વત્ર તેમની પૂજા કરો. દ્વૈતવાદી કહે છેઃ ‘હું બ્રહ્મનો છું.’ અદ્વૈતવાદી કહે છે ઃ ‘હું બ્રહ્મ જ છું.’ આ બંને કથનમાં વિશેષ ભેદ નથી, કારણ કે જે બ્રહ્મનો છે તે બ્રહ્મની સાથે એક પણ છે, જીવ – બ્રહ્મ – ઐકયાનુભૂતિ કેવળ નિર્વિકલ્પ સમાધિમાં જ થાય છે અને મેં આગળ બતાવ્યું છે તેમ ત્યાં પૂજા હોતી નથી. સંપૂર્ણ મનપ્રાણપૂર્વકની ભક્તિ જ તેની પ્રાપ્તિનો એકમાત્ર ઉપાય છે. આ સામાન્ય અને વિશેષ એમ બંને પ્રકારનો ઉપદેશ છે. શ્રીરામકૃષ્ણ પ્રત્યે મનપ્રાણપૂર્વકની ભક્તિ રાખો. તમે બરાબર કહો છો… ‘જ્યારે આપણો ક્ષુદ્ર અહંકાર નાશ પામે ત્યારે જ તેઓ આવે છે.’ આપણી ભીતરનો પશુ, આપણો ક્ષુદ્ર અહં જે સ્વયંને દુર્બળ અને પાપી સમજે છે, તેનું બલિદાન ‘નરબલિ’ ના નામે ઓળખાય છે. આ એક સાચા વીર દ્વારા જ થઈ શકે છે, કારણ કે ‘જિતં જગત્ કેન મનો હિ યેન’ ‘શેના વડે સંસારને જીતી શકાય છે ? જેણે પોતાના મનને જીતી લીધું છે એના દ્વારા જ.’

દુર્બળતા પર આધારિત ધર્મ પૂર્ણતઃ મિથ્યા અને હાનિકારક છે. શ્રુતિ કહે છે ઃ ‘નાયમાત્મા બલહીનેન લભ્યઃ’ – ‘દુર્બળ દ્વારા આત્માની પ્રાપ્તિ થઈ શકતી નથી.’ જો હું ઈશ્વરનું સંતાન છું, હું એમની જાતિનો છું અને તે પૂર્ણપવિત્ર છે, તો હું પણ પૂર્ણપવિત્ર છું. એટલે જો તમે ખરેખર ઈશ્વરને પ્રેમ કરવા ઇચ્છતા હો તો તમારે પણ ઈશ્વર બનવું પડશે – ‘દેવો ભૂત્વા દેવં યજેત’ – ‘ઈશ્વરની પૂજા કરવા માટે તમારે ઈશ્વર બનવું પડે.’ પોતાની જાતને પાપી ગણવાથી શો ફાયદો ? તમે અનંત છો. નર્યા અજ્ઞાનને કારણે પોતાને સીમિત સમજો છો. પ્રત્યેક વ્યક્તિની પાછળ અનંતતા રહેલી છે. તમારામાં અનંત શક્તિ છુપાયેલી છે. અતઃ પોતાના પર સંશય ન રાખો. તમે જે કોઈ માર્ગે ચાલો, સફળ થશો જ. ભક્તિપથ સર્વશ્રેષ્ઠ છે, કારણ કે તે સૌથી વધુ સ્વાભાવિક છે. જે ઈશ્વર તમારી ભીતર છે તેમના પ્રત્યે ભક્તિમાન બનો. તમે ઈશ્વરના સૌથી વધુ પ્રત્યક્ષ મંદિર છો. બહારનું મંદિર તો ભીતરના વાસ્તવિક મંદિરનું સ્મરણ કરાવનારું છે.

જ્યારે તમે પોતાના મનથી દુર્બળ બનાવનારા બધા વિચારોને દૂર કરી દેવા ઇચ્છો તો પોતાના વિચારો પર નજર રાખવી એ ભૂલ નથી. જો તમને સાપ કરડી લે અને તમે ‘નહીં’ ‘નહીં’ કહીને એના ઝેરનો અસ્વીકાર કરી દો તો તે ઝેર તમારા પર કોઈ અસર કરી નહીં શકે. જે આવી શ્રદ્ધા રાખે છે ઃ ‘હું પાપી નથી, હું ઈશ્વરનું સંતાન છું’ તે યોગ્ય સમયે એ અનુભવ કરી લે છે કે હું ખરેખર ઈશ્વરનું સંતાન છું. જો તમે ખરાબ ટેવો છોડવા ઇચ્છો તો તમારે એનાથી ઊલટી સારી ટેવો વિકસાવવી પડશે અને એ માટે તમારામાં અત્યધિક માત્રામાં રજસ્ કે કર્મઠતા હોવાં આવશ્યક છે. ભગવાન શ્રીકૃૃષ્ણે ગીતામાં કહ્યું છે –

દૈવી હ્યેષા ગુણમયી મમ માયા દુરત્યયા ।
મામેવ યે પ્રપદ્યન્તે માયામેતાં તરન્તિ તે ।।

– ‘મારી ગુણમયી દૈવી માયાને પાર કરવી વાસ્તવિક રીતે ઘણી કઠિન છે. જે મારા શરણમાં આવે છે, તે તેને પાર કરી શકે છે.’ માયા ઈશ્વરની શક્તિ છે. ઈશ્વર તથા એમની શક્તિ વચ્ચે કોઈ ભેદ નથી. જેવી રીતે ગળપણ વિના સાકરની કલ્પના થઈ શકતી નથી અને સફેદપણા વગર દૂધની, તેવી રીતે ઈશ્વરની શક્તિ સિવાય ઈશ્વરની કલ્પના કરી શકાતી નથી. આપણે કોઈ અધિકારહીન વ્યક્તિની પ્રાર્થના કરતા નથી, કારણ કે આપણે જાણીએ છીએ કે એ નિરર્થક નીવડશે. ઈશ્વર સર્વશક્તિમાન છે એટલે એમની પ્રાર્થના કરીએ છીએ. એટલે જે કોઈ ઈશ્વરની પ્રાર્થના કરે છે તે શક્તિની જ પૂજા કરે છે. સંસારની પ્રત્યેક વ્યક્તિ શાક્ત છે, કારણ કે એવો કોણ છે કે જે શક્તિની પૂજા નથી કરતો ?

ઈશ્વર વાદળની ઉપર કયાંય રહેતો નથી. તે પ્રત્યેક પ્રાણીના હૃદયમાં વાસ કરે છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છેઃ ‘ઈશ્વરઃ સર્વભૂતાનાં હૃદૃેશેઽર્જુન તિષ્ઠતિ’ – હે અર્જુન, ઈશ્વર બધાં પ્રાણીઓનાં હૃદયમાં વસે છે.’ સામાન્ય માનવ આ જાણતો નથી. ઈશ્વર આપણી સામે અજ્ઞાનીના, અભાવગ્રસ્તના, રોગીના, અનાથના, ભૂખ્યાના રૂપે આવે છે; જેથી આ રૂપોમાં તેમની સેવા કરીને આપણી જાતને ઉન્નત કરી શકીએ. માત્ર કર્મ કરવામાં આપણો અધિકાર છે, તેના ફળ ઉપર નહીં. પરિણામ આપણા હાથમાં નથી. અતઃ બીજાનું કલ્યાણ કરવાની ભાવના દ્વારા સદૈવ પોતાનું કલ્યાણ કરવા આપણે વધારે સચેષ્ટ બનવું જોઈએ, કારણ કે એ બધાં ઈશ્વરનાં જ છે તથા જેવાં છે તેવાં તેમને ઈશ્વરે જ બનાવ્યાં છે. આપણે ન તો ઈશ્વરને સુધારી શકીએ કે ન એમની કાર્યપદ્ધતિમાં કોઈ દોષ કાઢી શકીએ. એ મહાન મૂર્ખતા ગણાશે. આપણે બીજાની સેવા દ્વારા પોતાનો વિસ્તાર કરીને પોતાની જ સેવા કરીએ છીએ. પોતાની માગ અવશ્ય પૂરી થશે એ જાણીને એક બાળક પોતાનાં માતપિતા પાસેથી જે જોઈએ છે તે શું માગતું નથી ? બરાબર એ જ રીતે તમે પણ પોતાના ઈશ્વર પાસે એ બધી બાબતો માટે પ્રાર્થના કરો જે તમને ઈશ્વરસાક્ષાત્કાર માટે આવશ્યક છે. તમે ઈશ્વરનું સંતાન શા માટે થવા માગો છો ? જગજ્જ્વાલાથી છૂટવા માટે જ ને ? એટલે ભક્તિ અને જ્ઞાન વચ્ચે ભેદ જ કયાં છે ?

હું તમને બતાવી દઉં કે શાંતિ મનુષ્યની પોતાની માનસિક સંપત્તિ છે, એટલા માટે તમે પોતાના ગૃહસ્થ જીવનની બાબતો કે સામાજિક બાબતોને કયારેય પોતાના મનની પવિત્ર સીમામાં પ્રવેશવા ન દો. ત્યાં તમારા પર શાંતિ અને આનંદની અમીવૃષ્ટિ કરતા પરમશિવને જ સર્વાેચ્ચ શાસન કરવા દો. મનુષ્ય જ્યારે પોતાના સર્વાધિક અપરાજેય શત્રુ અહંકારથી મુક્ત બને, ત્યારે સંપૂર્ણ આત્મસમર્પણભાવ આવી શકે છે. હું અમુકતમુક છું એ ભાવ આપણા વારંવારના જન્મ અને મરણનું કારણ છે, જેટલી વધુ માત્રામાં તમે આ અહંકારમાંથી મુક્ત થઈ શકો એટલી માત્રામાં તમે પોતાના અત્યારે અહંકારથી ઢંકાયેલ આધ્યાત્મિક સ્વરૂપની અનુભૂતિ કરવા માટે સમર્થ બની શકો; આ ‘હું’ જ આપણાં બધાં દુઃખોનું મૂળ છે. અતઃ કોઈપણ રીતે આ અહંકારથી છૂટવું એ આપણું સૌથી પહેલું કર્તવ્ય છે. આ કાર્ય મહાપુરુષોની સેવા, નિષ્કામ કર્મ, ધ્યાન અને વિવેકથી સંપાદિત કરી શકાય છે. આમાંથી પ્રથમ સહજતમ અને શ્રેષ્ઠતમ છે. જો તમે પોતાની જાતને એક સાચા ગુરુના ચરણોમાં સમર્પિત કરી શકો તો તમારા આ સેવાભાવથી ધીમે ધીમે તમારો અહંકાર દૂર થશે. જો કોઈ માનવ ખરેખર પોતાને શ્રીરામકૃષ્ણદેવના માર્ગદર્શન હેઠળ સમર્પિત કરી દે તો તેઓ તરત એની રક્ષા કરશે, પરંતુ આ કાર્ય ઘણી ઓછી વ્યક્તિ-લગભગ કોઈ નહિ-કરી શકે છે, કારણ કે દરેક વ્યક્તિ વત્તાઓછા પ્રમાણમાં અહંકારી છે જ. જો ઈશ્વર માટે કષ્ટ સહન કરવાં એનો અર્થ તમારી દૃષ્ટિએ શરણાગતિ હોય તો શરણાગતિનો ઉચિત અર્થ હું સમજું છું તે રીતે સંસારમાં લગભગ કોઈપણ એનો અધિકારી નથી. જો હું અહીં છું અને અહીં પ્રસન્ન રહેવા ઇચ્છું છું તો મારે એ જ કરવું જોઈએ કે જે મને બધા ભયથી મુક્ત કરી દે અને પ્રસન્ન બનાવી દે. એમનું સંતાન હોવાથી મને કોઈ ભય નથી, કારણ કે સર્વશક્તિમાન પરમદયાળુ પરમેશ્વરે મારી ચિંતા કરવાની છે. ઈશ્વર તમારાં માતાપિતા બંને છે.

ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ
ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ।
ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ
ત્વમેવ સર્વં મમ દેવદેવ ।।

‘તમે જ મારાં માતા છો અને મારા પિતા છો, તમે જ મારા બંધુ છો અને મારા મિત્ર છો, તમે જ મારી વિદ્યા છો અને મારું ધન છો; હે પ્રભુ તમે મારું સર્વસ્વ છો.’
અને શ્રીરામકૃષ્ણ આ બધું છે.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

2 Comments

  1. Bhavesh kumar vadilal July 7, 2021 at 9:44 pm - Reply

    superbb

  2. Sandeep Parmar November 2, 2021 at 5:38 pm - Reply

    Excellent…

Leave A Comment

Related posts

Popular products

Product categories